Monday, October 1, 2018

આપણે માંધાતા-કોળી-પટેલ


આપણે માંધાતા-કોળી-પટેલ
હું કેનેડાના મોન્ટ્રિઅલ શહેરમાં રહું છું. એના પાર્ક વિસ્તારમાં આવેલું રામજી મંદિર દક્ષિણ ગુજરાતના કોળી જાતિના હિન્દુઓનું પવિત્ર સ્થાન છે. એ માત્ર ધાર્મિક મંદિર જ નથી પણ સામાજિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું પણ કેન્દ્રસ્થાન છે. એનું નામ ટેમ્પલ શ્રી રામજી માંધાતા, મોન્ટ્રિઅલ છે. આ માંધાતા શબ્દ ક્યાંથી આવ્યો એ જાણવાની જિજ્ઞાસા આપણને થાય એ સ્વાભાવિક છે. મને પણ થઇ. પછી થોડાં પુસ્તકોનું વાચન અને ઇન્ટરનેટ સર્ચ ને અંતે જે કંઈ મળ્યું તે અહીં રજુ કર્યું છે. ક્યાંક માહિતીદોષ હોવાની સંભાવના પણ નકારતો નથી.
પૌરાણિક કથા અનુસાર કોલીય વંશના 'યુવનાશ્વ રાજા' ની:સંતાન હતા. આથી સંતાન પ્રાપ્તિ માટે તેણે યજ્ઞ કરાવ્યો. યજ્ઞની પ્રસાદી રૂપે મંત્રેલા પાણીથી ભરેલો ઘડો રાત્રીના સમયે રાજાના શયનખંડમાં મુકાવ્યો. આ પાણી સવારે રાણી રૂપમતીને  પીવડાવવાનું હતું પરંતુ રાતે રાજાને તરસ લાગતાં તેઓ ભૂલમાં આ પાણી પી ગયા. આથી રાજાને ગર્ભ રહ્યો. યોગ્ય સમયે રાજાનું પેટ ચીરીને બાળકનો જન્મ કરાવાયો. દેવરાજ ઇન્દ્રને આ વાતની જાણ થતાં તેઓ બાળકને જોવા આવ્યા. નવજાત બાળકને ખવડાવવાનો પ્રશ્ન મોટો હતો. ઇન્દ્રે પોતાની અનામિકા બાળકના મોમાં મૂકી કહ્યું "माँ दया स्ति" (મા ધવડાવે છે). આમ આંગળી ચૂસીને તથા ઇન્દ્રની કામધેનુ ગાયનું દૂધ પી ને ઉછેર કરાયેલ આ બાળકનું નામ 'માંધાતા' રખાયું. મોટા થઈને રાજા માંધાતાએ સમગ્ર હિન્દુસ્તાનમાં મોહેંજો-દડો-સંસ્કૃતિનો શિસ્તબદ્ધ વિકાસ અને વિસ્તાર કર્યો.  
 માંધાતાબાદ અંબરીશ રાજા થયા. પરંતુ ત્યારબાદ કોલીય વંશમાં કોઈ શક્તિશાળી રાજા થયો નહીં. આથી નબળા શાશનનો લાભ લઇ આર્ય રાજા દુષ્યંતના પુત્ર 'જડભરત' એ નાગવંશી કોલીય રાજાઓ પર સર્વોપરી સત્તા જમાવી દીધી. અને હારેલા કોળી લોકો ધીરે ધીરે ઉત્તરમાંથી દક્ષિણમાં સ્થળાંતર કરી ગયા. અને ત્યાં ખેતી, પશુપાલન, શિકાર અને ચોરી-લૂંટફાટ કરતા થઇ ગયા.
ઐતિહાસિક સંશોધનો અનુસાર સમસ્ત કોળી સમાજ, મહારાજા ઇક્ષ્વાકુના 'કોલીય વંશના સૂર્યવંશી ક્ષત્રિય છે. આ સૂર્યવંશી ક્ષત્રિયો જેને પુરાણોમાં ક્ષીરસાગર સમુદ્ર કહ્યો છે તે કાસ્પિયન સમુદ્ર વિસ્તારમાંથી હિન્દુસ્તાનમાં આવ્યા હતા.
સમય જતાં સમગ્ર હિન્દુસ્તાનમાં આર્યોનું શાશન સ્થાપિત થઇ ગયું. જો કે કોલીય અને આર્યો બંને ઇક્ષ્વાકુ વંશની જ બે શાખાના સૂર્યવંશી ક્ષત્રિયો હતા. હિન્દુસ્તાનમાં પહેલા કોલીય આવ્યા અને લાંબા સમય બાદ આર્યો આવ્યા. 'સનાતન હિંદુસંસ્કૃતિ' ના સ્થાપક આ આર્યો હતા. પરંતુ હિન્દુસ્તાન ઉપર અવારનવાર આક્રમણો થતાં રહયાં, હાર જીત થતી રહી પરિણામ સ્વરૂપ હિન્દુસ્તાનની સંસ્કૃતિ ભાતીગળ બની ગઈ. સમગ્ર ભારતીય ઉપખંડમાં સંપૂર્ણ આર્ય કે સંપૂર્ણ અનાર્ય બહુ ઓછા રહયા છે. કારણકે હજારો વર્ષથી રાજાઓની આંતરિક લડાઈઓ અને વિદેશી આક્રમણો પછી જીતેલી સેનાઓ  દ્વારા હારેલી પ્રજાની સ્ત્રીઓ ઉપર સામુહિક બળાત્કારો થવા એ તદ્દન સ્વાભાવિક હતું. ઉપરાંત પ્રેમપ્રકરણો, બળાત્કાર, વ્યભિચાર વગેરે દ્વારા સંકરણ થતાં રહયાં. શકો, હૂણો વિગેરેથી શરુ કરીને મુસ્લિમો અને અંગ્રેજો સુધી આ સિલસિલો ચાલ્યો. જોકે યુરોપીયનોએ આફ્રિકામાં જે રીતે વર્ણસંકર સંતાનો પેદા કર્યાં તેટલા પ્રમાણમાં ભારતમાં ફાવ્યા નથી કારણકે ભારત પાસે પોતાની આગવી સંસ્કૃતિ છે અને હતી. વળી જૌહર ને કારણે પણ સ્ત્રીઓ મૃત્યુ પામી હોવાથી વધુ બળાત્કારો થઇ શક્યા  નહિ.
હજારો વર્ષ પહેલાં અગસ્ત્ય મુનિએ સનાતન (હિન્દૂ) ધર્મના ફેલાવા માટે જાવા-સુમાત્રા જવા પહેલાં અનાર્ય કન્યા લોપામુદ્રા સાથે લગ્ન કર્યાં હતાં. આમ કરવાથી આર્યો અને અનાર્યો એક બીજાની નજીક આવ્યા, લડાઈઓ ઘટી અને ઓછા તો ઓછા પ્રમાણમાં પણ રોટી-બેટી વ્યવહાર સુદ્ધાં શરુ થયો. ભગવાન રામના શિવમંદિરે પણ ઘણો પ્રભાવ પાડયો.
હરિવંશ, મત્સ્ય પુરાણ, મારકન્ડેય પુરાણ, વાયુપુરાણ, મહાભારત સભાપર્વ, અશ્વમેઘપર્વ, વગેરે સ્થળે કોળી જાતિનું અસ્તિત્વ તથા વર્ણન જોવા મળે છે
રામાયણમાં જોઈએ તો ભગવાન રામચંદ્રને કોલીય 'નિષાધ રાજા' જોડે સારી મૈત્રી હતી. વિદર્ભના રાજા 'જનક' કોલીયોના ખેતી વ્યવસાયને પ્રોત્સાહન આપવા જાતે હળ ચલાવતા. આ કાળમાં જ કોલીય પ્રજામાં રત્નાકર નો જન્મ થયો. જે પહેલાં વાલિયો લૂંટારો ને પછી 'મહર્ષિ વાલ્મિકી' બની ગયા. 'રામાયણ' જેવા મહાન ગ્રંથના લેખક આપણા કોળી સમાજમાં જન્મ્યા હતા જે આપણા સમાજની ઐતિહાસિક સંસ્કૃતિની ગૌરવગાથા છે.
દ્વાપર યુગમાં કોળી પ્રજાના સરદાર જેઓ માછીમારી કરતા હતા તેમની દીકરી 'મત્સ્યગંધા'ના મુનિ પરાશર વ્યાસ સાથેના હોડીમાં બંધાયેલ શરીર સંબંધથી જન્મેલ દીકરા વેદ વ્યાસ (કોળી) હતા. એમણે મહાભારત લખ્યું.  અને બીજો મહાન સાહિત્યકાર પણ કોળી સમાજે આપ્યો.
પુરાણોમાં કેટલીયે વાર 'કોલ' એટલે કોળી જાતિનો ઉલ્લેખ જોવા મળે છે. દક્ષિણની ભાષાઓમાં '' નું અપભ્રંશ '' થાય છે એટલે ચોલ, ચાલ, ચોલી એ કોલી શબ્દનું જ સ્વરૃપ છે. પંજાબમાં આ જ્ઞાતિ માટે 'કુલર' શબ્દ જોવા મળે છે. પુરાણોક્ત 'કાલિવાલા' કે 'કોલવન' શબ્દ કોળીઓની વસતી ધરાવતા પ્રદેશ માટે છે. તિબ્બની ભાષામાં 'ક્રોડત્ય' કે 'કોડય' શબ્દ પ્રચલિત છે. ગુજરાતી, મરાઠી કે રાજસ્થાનીમાં જે 'કોળી' કહેવાય છે તે યુ.પી.માં 'કોરી' ભરતપુર તરફ કોરિયા', બંગાળ-બિહારમાં 'કોઇરી' શબ્દો પ્રચલિત છે. સંતશ્રી કબીર સાહેબ બ્રાહ્મણ સ્ત્રીના પુત્ર કે પછી મુસ્લિમ વણકર હતા તે માન્યતા સામે ખુદ પોતાના કેટલાક 'દોહરા'માંકહત કબીર કોરીએમ દર્શાવી પોતાને કોળી તરીકે વર્ણવે છે તે માટે પણ એક વિશેષ સંશોધને અવકાશ રહે છે.
ચીની યાત્રી હ્યુ-એન-સંગે કોળીને 'કિલોયુટા' નામથી વર્ણવેલ છે. કુલુના રાજા પણ કોળી હતા. આમ કોળી 'કુલ્ફ' પ્રાન્તની અત્યંત પ્રાચીન જાતી છે.
ઈ.સ.પૂર્વે ૯૮૩ માં કાશી નગરીમાં નાગવંશીય કોલીય રાજા 'રામ' (ભગવાન રામચંદ્ર નહીં) નો જન્મ થયો.  તેમણે રાજ્યની તમામ પ્રજાને નાગનું પૂજન કરવાનો આદેશ આપ્યો. અને સમગ્ર રાજ્યમાં એક દિવસ સામુહિક ઉત્સવની શરૂઆત કરી. આ દિવસ 'નાગપંચમી' તરીકે જાણીતો છે.  આ રાજા રામને અસાધ્ય 'કોઢ' (રક્તપિત્ત)  રોગ હતો. મૃત્યુ નજીક દેખાતાં તેઓ હિમાલય ચાલ્યા ગયા. હાલના નેપાળની વનરાઈઓમાં એક ઋષિના આશ્રમમાં તેઓ રહ્યા. આ વનરાઈમાં કોળ (બદરી-કોઠાંજેવું વૃક્ષ)નાં પુષ્કળ વૃક્ષો હતાં. ઋષિએ કોળ વૃક્ષની છાલ અને પાનનો ઉકાળો બનાવીને રાજા રામને પીવડાવવાનું શરુ કર્યું. અને ધીરે ધીરે રાજા રામ સારા થઇ ગયા. કોળ વૃક્ષના ઔષધીય ગુણોથી સાજા થયેલા રાજા રામ પછી એ જ આશ્રમમાં આજીવન રહ્યા, અને 'કોળ ઋષિના' નામથી ઓળખાયા.
શાક્ય વંશજ અમૃતા નામની રાજકુમારીને પણ કોઢ (રક્તપિત્ત) હતો. એના પરિવારજનો એને હિમાલયની એક ગુફામાં છોડીને જતાં રહ્યા. એક દિવસ કોલ ઋષિએ એને સિંહના પંજામાંથી છોડાવી. પોતાના આશ્રમે લઇ જઈ સારવાર કરી કોઢ માંથી મુક્ત કરી. પરંતુ તેઓ બંને પ્રેમમાં પડયાં. આખરે કોળ વૃક્ષની કૃપાથી સાજા થયેલ કોળ ઋષિ અને અમૃતાએ કોળ વૃક્ષની સાક્ષીએ વિવાહ કરી પ્રતિજ્ઞા કરી કે આજથી અમારો જે વંશ થશે તે કોળી વંશ ના નામથી ઓળખાશે. કોળીઓનું ગોત્રનામ''વ્યાઘ્રપદ''છે.
આ દંપતીને સોળ સંતાનો થયાં તેમણે આશ્રમની આજુબાજુ જગ્યા સાફ કરી એક નગર વસાવ્યું. જેને પોતાના કોળીરાજની રાજધાની બનાવી. પ્રથમ રાજા તરીકે જ્યેષ્ઠ પુત્ર 'જગ્ગર' નો રાજ્યાભિષેક થયો. તે સમયે રાજાનું સ્થાન દેવ એટલેકે ભગવાન બરાબર હતું. એમનું સામ્રાજ્ય 'રામગ્રામ' કહેવાયું. રામગ્રામની સરહદ પર રોહિણી નદી વહેતી હતી. તેને સામે પાર શાકય વંશોની રાજધાની 'કપિલવસ્તુ' હતી.
રાજા જગ્ગર પછી લાંબા સમય સુધી કોઈ પ્રતાપી રાજા ન થયો. છેક ઈ.સ.પૂર્વે ૬૧૯ માં રાજા અંજન નો જન્મ થયો. જેણે કોળી સામ્રાજ્યની આણ નેપાળ ઉપરાંત હિન્દુસ્તાન, તિબેટ, બર્મા સુધી ફેલાવી. એમના સમયમાં 'કોડાજ સંવત' અમલમાં હતો. તેમાં ઘણી ખામીઓ હતી. એ ખામીઓ દૂર કરી 'અંજન સંવત' શરુ કર્યું. નેપાળ અને બર્મામાં આજે પણ 'અંજન સંવત' ચાલે છે.
કોલ-બદરી વન એ કોળી રાજાના અધિકારમાં હતું. કહેવાય છે કે ભગવાન વિષ્ણુ કોલનાથના નામે અહીં રહેતા હતા. પણ કોળી શાશનના પતન બાદ તેઓ આર્યોના ષડયંત્રનો શિકાર બન્યા. કોળી સમાજના કોલનાથ આજે 'ભગવાન બદરીનાથ' ના નામે પૂજાય રહ્યા છે. (શિવ આર્યોના દેવ ન હતા. પરંતુ ભગવાન શ્રી રામે આર્યો અને અનાર્યો વચ્ચેની ટક્કર ટાળવા માટે તેમને આર્યોના પણ દેવ બનાવ્યા. આર્યો માટેનું પહેલું શિવમંદિર ભગવાન શ્રી રામે બનાવ્યું હતું.) સમ્રાટ કોલે દક્ષિણમાં વસાવેલું નગર આજે 'કોલ્હાપુર' તરીકે ઓળખાય છે.
આર્યોએ રાજા અંજનનો વધ કર્યો. પછી તેનો પુત્ર સુપ્રબુદ્ધ રાજા થયો. આ સુપ્રબુદ્ધની પુત્રી યશોધરાના લગ્ન શાક્યવંશી રાજા શુદ્દોધનના પુત્ર સિદ્ધાર્થ સાથે થયાં જે હકીકતે તેની ફોઈનો દીકરો હતો. આ સમયે મામા-ફોઈના સગપણમાં લગ્નો અતિસામાન્ય હતાં. આ સિદ્ધાર્થ જેને વિષ્ણુના નવમાં અવતાર ગણવામાં આવે છે તે ભગવાન બુદ્ધ તરીકે પ્રખ્યાત થયા. આમ ભગવાન બુદ્ધ કોળી સમાજના ભાણેજ અને જમાઈ બંને હતા.
યુગો પહેલાં આર્યોથી પરાજિત થયેલા કોળી લોકો દક્ષિણમાં જતા રહ્યા હતા. ઈ.સ.પૂર્વે ૨૬૧માં થયેલા કલિંગના યુદ્ધમાં રાજા અશોકને આ કોળી લોકોએ મદદ કરી હતી. કોળી લોકોની  બૌદ્ધ વિચારધારાથી પ્રભાવિત થઇ રાજા અશોકે કોળી રાજકુમારી 'શ્રી દેવી'સાથે  લગ્ન કર્યાં. અને પોતાના સંતાન 'મહેન્દ્ર' અને 'સંઘમિત્રા'ને બૌદ્ધ ધર્મના ફેલાવાની કામગીરી સોંપી.
ત્રેતાયુગમાં આર્ય રાજા સગરે કોલીય સમુદાયને ધર્મ અને શિક્ષણથી વિમુખ કરી બરબાદીનું ધીમું ઝેર આપવાની શરૂઆત કરી હતી. દ્વાપરયુગમાં રાજા જન્મેજયે વિનાશ અને અંધકાર તરફ ધકેલ્યા. ભગવાન બુદ્ધના સમયમાં રાજા વિડંભ દ્વારા કપિલવસ્તુ નગરીનો નાશ કરાયો. ત્યારે કપિલવસ્તુના શાક્યોની મદદે કોળી લોકો આવ્યા. કોળીઓને આ મદદ ઘણી ભારે પડી. વિડંભે શાક્યો સાથે કોળીઓનો પણ ખાત્મો બોલાવ્યો. અને ત્યારથી કોળીઓ અને શાક્યો વચ્ચેના સબંધો ઉપર પણ પૂર્ણવિરામ આવું ગયું. 
મથુરાના રાજા શ્રી કૃષ્ણ પર વિદેશી આક્રમણખોર કાલયવન ચડી આવ્યો ત્યારે કૃષ્ણ રણ છોડીને ભાગ્યા હતા. આથી રણછોડ કહેવાયા. આ સમયે માન્ધાતા વંશજ રાજા મુચુકંદે કાલયવન સાથે છ-છ મહિના સુધી યુદ્ધ કર્યું હતું. આ કાલયવન મુચુકંદના માધ્યમથી જૂનાગઢની ગુફામાં મરાયો હતો. આજે પણ દામોદર કુંડની બાજુમાં આ મુચુકંદ ગુફા આવેલી છે. માન્ધાતાપુત્ર મુચુકુન્દની કથા ત્રણ પુરાણોમાં કહેવાઈ છે. હરિવંશમાં વિકદ્રુ એ મુચુકુન્દને હર્યશ્રીનો પુત્ર અને યાદવ વંશનો પૂર્વજ લેખાવ્યો છે.
સમ્રાટ અશોકના મૃત્યુ બાદ બૌદ્ધ ધર્મનો વિરોધી અને શત્રુ એવો સેનાપતિ 'પુષ્યમિત્રશૃંગ' રાજા બની ગયો. તેણે તમામ બૌદ્ધ ધર્મીઓનું કાસળ કાઢી નાખ્યું. સાથે સાથે તેણે શાક્યવંશીના સબંધી કોળીઓના ઘર, દેવાલય, ધર્મગ્રંથો વગેરેને આગ લગાડી ભસ્મિભુત કર્યા. આ અત્યાચારથી ત્રાસીને કોળી લોકો નેપાળનો વિસ્તાર છોડીને ભારતના અન્ય વિસ્તારમાં જાતિ છુપાવીને ફેલાય ગયા. એકહજારને ચાલીસ કુટુંબો અલગ અલગ જાતિ (અટક) બનાવીને રહેવા લાગ્યા. આથીજ કહેવાય છે કે પુષ્યમિત્રશૃંગે તલવારના એકજ ઝાટકે અખંડ કોળી સમાજના એકહજારને ચાલીસ ટુકડા કર્યા.
ઈ.સ. ૫૫૨માં 'હુણ' નામની પ્રજાએ ભારત ઉપર આક્રમણ કર્યું. તેમણે કોળી પ્રજાના કારીગરો, કલાકારો, વિદ્વાનો વગેરે સંસ્કૃતિના પાયા સમાન લોકોનો વધ કર્યો. આ બાબતનો ઉલ્લેખ હ્યુએનસંઘના 'સફરનામા' માં પણ થયેલ છે. જો કે હૂણો દક્ષિણમાં કોળી રાજા 'પેરુમ વિદુગુ દ્વિતીય'  સામે ફાવ્યા નહીં. પરંતુ પછીથી કોળી સમાજના લોકો બૌદ્ધ ધર્મ અપનાવવા લાગ્યા. તેમનામાં લડવાની ક્ષમતા મરી પરવારી. તેનો લાભ વિરોધીઓએ લીધો. અને કોળી સંસ્કૃતિને જડમુળ માંથી ઉખેડી નાખી. કોળી પ્રજા માટે કોઈપણ પ્રકારના જ્ઞાન અને વિદ્યાના અભ્યાસ પર પ્રતિબંધ મુકાયો. પછી આ અજ્ઞાની પ્રજા અંધશ્રદ્ધા ના મહાસાગરમાં ડૂબી ગઈ. જે આજ દિન સુધી સંપૂર્ણપણે બહાર આવી શકી નથી. 
ત્યારબાદ કોળી લોકોં મુસલમાન શાશકોને હાથે વધેરાયા. ઝનૂની મહંમદ ગઝની સામે ગુજરાતમાં ભીલ કોળી લોકોએ લડત આપી પણ તેઓ વધુ ટકી શક્યા નહીં. પછી બખત્યાર ખીલજીના આક્રમણો થયાં. ઈ.સ. ૧૪૬૯માં અમદાવાદના સુલતાન મહંમદ બેગડાએ જૂનાગઢના રા'માંડલિક ને હરાવી જૂનાગઢમાં મુસ્લિમ સત્તા સ્થાપી. જે સ.ને.૧૯૪૭ સુધી રહી. ઈ.સ.૧૪૯૦માં મહંમદ બેગડાએ સોમનાથ પર આક્રમણ કર્યું હતું. તેની સામે મૃત્યુપર્યન્ત લડત આપનાર હતા લાઠી રાજપૂત હમીરજી ગોહિલ અને તેના  સસરા કોળી વીર વેગડાદાદા. ઇતિહાસ લેખક કનૈયાલાલ મુનશીએ પણ આ નોંધ લીધી છે.
રાજપૂતોના ક્ષત્રિય ઇતિહાસની વેબ સાઈટ ઉપર ‘’બિછડે બંધુ તરીકે જે ઉલ્લેખ છે તે મુજબ, પરિસ્થિતિવશ મધ્યકાળ (મધ્યયુગ) માં ક્ષત્રિયોના કેટલાય વંશો રાજપૂતોથી અલગ થઈ ગયા. આ જ્ઞાતિઓ પૂર્વકાળમાં મારવાડ, મેવાડ તથા માળવા અને ગુજરાતની રાજપૂત જ્ઞાતિઓ હતી. તેમનાં રાજ્યો તૂટવાથી તેઓ ગુજરાતમાં આવીને વસ્યા. પછી પાટણ તરફની વસ્તીમાં ભળવાથી તેઓ રાજપૂત મટી ઠાકોર કહેવાયા. ઠાકોર અપભ્રંશ ઠાકરડા થયો. મધ્ય ગુજરાતમાં વસતા ઠાકોરો સંવત ૧૬ના સૈકામાં આવીને મધ્ય ગુજરાતમાં વસ્યા. આમ તેઓ મૂળે તો રાજપૂતમાંથી છૂટી પડેલી જાતિઓ છે. તેઓ રાજપૂતોની અસલ અટકો લખાવે છે, પોતાને ક્ષત્રિય તરીકે ઓળખાવે છે. પોતાની રીતિનીતિઓથી પદભષ્ટ થવાથી રાજપૂતોએ તેમની સાથેનો વ્યવહાર ત્યજી દીધો છે.
કોળી સમાજ સિંઘ-સૌરાષ્ટ્રના ઘણાં વિભાગોમાં, પૂર્વ સમુદ્રઘાટ, ગુજરાત મહારાષ્ટ્ર સહિત દક્ષિણના અંદરના ભાગોમાં પણ ફેલાયો હતો. કર્ણાટકના સમુદ્રતટનો ઘાટક્ષેત્ર જે ''માવર'' કહેવાતો ત્યાં કોલમ નામનું બંદર કોળીઓનું હતું. રાજસ્થાનની કેટલીક કોળી જાતિ પોતાને ''માવર''ની ઉપજાતિ કહેવડાવે છે. પશ્ચિમ કિનારો કોળીઓના અધિકારમાં હતો. દક્ષિણના કોલમ, કોલકોટ (કાલીક્ટ), ડ્રયુ (દીવ) વિ. મુખ્ય બંદરો કોળીઓના તાબામાં હતા
કેટલાક કોળી લોકો ભય અને ભુખમરાને કારણે મુસલમાન બની ગયા. પંદરમી સદીમાં કોળી લોકોમાં માટા પાયે ધર્માંતર થયું.  આ મુસલમાન બનેલા કોળી લોકોને અસલ મુસલમાનો પોતાના દરજ્જાના ગણાતા ન હતા. હિન્દૂ કોળી તેમને પોતાના વ્યવહારથી અલગ રાખતા હતા. તેઓ 'મુસ્લિમ જુલાહ' તરીકે ઓળખાતા.
બાકીના કોળી લોકો મહારાષ્ટ્ર તરફ ભાગ્યા.તેઓ મોટેભાગે માછીમારીના વ્યવસાયમાં લાગી ગયા. ઉપરાંત તેઓ દરિયામાં લૂંટફાટ- ચાંચિયાગીરી પણ કરતા હતા. તા. ૨૨-૦૫-૧૪૯૮ના રોજ વાસ્કો-ડી-ગામા દરિયાઈ માર્ગે કોળી વસાહત વાળા કોલીકોડ બંદર સુધી પહેંચાયો હતો. શરૂઆતમાં કોળી લોકોએ વાસ્કો-ડી-ગામા નો વિરોધ કર્યો. પરંતુ ચતુર વાસ્કો અભણ અને અજ્ઞાની કોળીઓને બનાવી ગયો. થોડા દિવસ પછી સંપૂર્ણ સૂર્યગ્રહણ થવાનું છે એ વાસ્કો જાણતો હતો. એણે કોળીઓને કહ્યું કે જો તમે મને સાથ અને સહકાર ન આપશો તો હું તમારા સૂર્યદેવને ગાયબ કરી દઈશ. અને ખરેખર ગ્રહણ થયું આથી કોળીઓએ ગભરાયને તેને સાથ આપ્યો. તેને નવા જળમાર્ગ શોધવામાં કોળી લોકોએ જ મદદ કરી હતી. જેનો ઉલ્લેખ અંગ્રેજ  ઇતિહાસકાર એ.કે.ફોર્બ્સ અને જેમ્સ બંકિમહામના ગ્રંથોમાં છે. આ લોકો જુદા જુદા સાત દ્વિપો ઉપર રહેતા હતા. તેમની દેવીનું નામ મુંબાદેવી હતું. તેના પરથી 'મુમ્બાઈ'  નામ પડયું. આમ આજના મુંબઈના મૂળ નિવાસી કોળી લોકો છે. બુદ્ધપત્ની યશોધરા બિંબા (મુમ્બા) દેવી રૃપે કોળીની કુળદેવી બની મુંબઇમાં બિરાજે છે
ભારતના મોટાભાગના વિસ્તારમાં મોગલ સમ્રાટ ઔરંગઝેબની ધાક હતી ત્યારે મહારાષ્ટ્રમાં વીર શિવાજી તેના 'મહાદેવ' નામની કોળી પેટાજાતિના સૈનિકોના સહકારથી તેની ઊંઘ હરામ કરી રહ્યા હતા. મોગલો સામેની લડાઈમાં  'કોળી સિંહ તાનાજી માલસુરે' શહીદ થયા હતા. પોતાના સપૂતની શહાદતનો બદલો લેવા કોળી લોકો મહારાષ્ટ્રના પુના નજીકના જુન્નાર પ્રદેશમાં ભેગા થયા. પરંતુ મોગલોનું વિશાળ સૈન્ય તેમના પર બેરહમીથી તૂટી પડયું. તમામ માણસોનાં માથાં વાઢીને એક ચબુતરામાં ચણી દીધાં. જે કોળી ચબુતરો કહેવાયો. ઇતિહાસકાર ગ્રાન્ડ ડફે એ પોતાના પુસ્તક 'હિસ્ટ્રી ઓફ મરાઠા' માં આ હત્યાકાંડનો ઉલ્લેખ કરેલ છે.
ઈ.સ.પૂર્વે ૧૮૭ થી પુષ્યમિત્રસંગે શરુ કરેલ કોળી સમાજની બરબાદીનો સિલસિલો અંગ્રજ શાશન સુધી ચાલુ રહ્યો. જો કે કોળી સમાજના ઉત્થાનની શરૂઆત પણ જાણ્યે અજાણ્યે અંગ્રેજો દ્વારા જ થઇ. એક બાજુ અંગ્રેજોને કારકૂની કામ માટે અક્ષરજ્ઞાન ધરાવતા માણસોની જરુર પડી. તેમણે આપણને ભણાવ્યા. બીજી બાજુ અંગ્રેજી શાશન સામે 'ગાંધીવાદ' મેદાને આવ્યો. તેમાંથી સમાજમાં ક્રાંતિ માટેની હિમ્મત અને જાગૃતિ આવી.
સત્તરમી અને અઢારમી સદીમાં સમાજમાં આધ્યાત્મિક શક્તિનો પ્રાણ પૂરનાર કોળી જ્યોતીર્ધારોનો જન્મ થયો. ભક્તરાજ  ભદુરદાસ, સૌરાષ્ટ્રના ભક્ત વલરામ, જૂનાગઢના ગિરનારી સંત વેલનાથ, વડતાલ અને ગધઢાના ભક્તરાજ જોબનપગી, શિહોરના સંત શ્રી કોયાભગત, સંત ધુળીનાથ, મદનભગત, કાનજી સ્વામી  વગેરે મહાન કોળી સંતોએ સમાજને અજ્ઞાનના અંધકારમાંથી જ્ઞાનના પ્રકાશ તરફ લઇ જવાની શુભ શરૂઆત કરી હતી.
અહીં કોળી ક્રાંતિવીરોને પણ ઓળખી લેવા જરૂરી છે. ઝાંસીની રાણી લક્ષ્મીબાઈની સેનાનો મુખ્ય તોપચી પૂરણ કોળી હતો. તેમની સ્ત્રી બટાલિયન 'દુર્ગાસેના' માં મુખ્યત્વે કોળી સ્ત્રીઓ હતી. પૂરણ કોળીની પત્ની ઝલકારીબાઈ પોતે લક્ષ્મીબાઈના ડુપ્લીકેટ હતાં. સિંધ પ્રદેશમાં અંગ્રેજો સામે સ્વતંત્ર સંગ્રામ લડતી સેનાનો સરદાર 'રુપલો કોળી' હતો. કોળી કુટુંબમાં જન્મેલા બળદેવસિંહ 'હિમાચલપ્રદેશના ગાંધી' કહેવાતા હતા. મહીકાંઠા વિસ્તારના કોળી સરદાર 'હાથીભાઈ' ની આગેવાનીમાં તા. ૧૬-૧૦-૧૮૫૭ ના દિવસે કોળી લોકો બ્રિટિશ કેન્ટોન્મેન્ટ પર હુમલો કરવાની તૈયારી કરીરહ્યા હતા ત્યારે બ્રિટિશ જાસૂસોને જાણ થઇ જતાં તેમની સેનાએ હથિયાર વિનાના લાચાર ૮૦૦ થી ૯૦૦ કોળીઓને સળગાવીને રાખ કરી નાખ્યા હતા.
હિંગળાજ માતાની આજ્ઞાનુસાર કોળીઓ સિંઘ પ્રદેશમાંથી નળ સરોવરના પ્રદેશમાં વસ્યા તે શાખે ''મેર'' કહેવાયા. આ કોળી સમુહનો સરદાર સોનંગમેર હતો જેને ૧૨ પુત્રો હતા જેનો પ્રથમ પુત્ર નામે નળવાન નળસરોવરે વસ્યો જે પ્રદેશમાં હિંગળાજનો આરો છે. જ્યારે બીજો પુત્ર ધનમેર હતો જેણે ધંધુકા વસાવ્યું. આ ધનમેર દાનવીર તરીકે પ્રખ્યાત હતા. ધનમેરની પુત્રીના લગ્ન રાણપુર વસાવનાર રાણજી ગોહિલ સાથે થયેલા. આ કન્યાથી જે પુત્ર થયો તેને ગરાસમાં ''ખસ'' ગામ મળ્યું તેથી તેના વંશજો ખસિયા કોળી કહેવાયા. આ કોળી ઠાકોર ધનમેરે સોમનાથના રક્ષણ માટે યવનો સાથે લડાઈ કરી વંથલી પાસે શહીદ થયેલા. આ લડાઈ વખતે તેને મોખડાજી ગોહિલ અને રા'મહિપાલનો સાથ હતો.
ઈડરમાં પ્રતિહારો (પઢીયારો)ની સત્તા પછી કોળી લોકોની સત્તા થઈ. રાઠોડોએ ઈડર લીધું તે પહેલા હાથી સોડનો પુત્ર કોળી નરેશ સામડીયો સોડ રાજ્ય કરતો હતો. બરવાળા ધંધુકા પાસે હેબતપુરા ચુંવાળિયા કોળી નાથીયા લૂણીયા ઉર્ફે નાથાજી કોળીને ઘેર કડી ગામથી ભંકોડાના કાનાજીના દીકરાની જાન આવી હતી. આ સમયે શાહજહાઁનો પાટવી શાહજાદો દારા શિકોર જે ઓરંગજેબનો ગુનેગાર હતા જે છુપાવેશે ઔરત નદીરાબાનુ તથા પુત્ર શિફીર શિકોર સાથે છુપા વેશે ભાગેલ તેનો પીછો દગાખોર જયસિંહ કરતો હતો. આ દારાએ હેબતપુર આવી નાથાજીનો આશરો લીધો. જયસિંહ અને મોગલ સૈન્યના આવવાના વાવડ જાણી નાથાજીએ લગ્ન પૂર્ણ થયા પછી ધીંગાણાની તૈયારી કરી. નાથાજીએ દારા અને તેના માણસોને પોતાના પુત્ર હેબતને સોંપ્યા. હેબતપુરના પાદરે ૫૦૦ કોળી અને ૧૦૦૦ની મોગલ ફોજ વચ્ચે ધીંગાણું થયું. નાથાજી અને તેના વેવાઇ કાનાજી ઘવાયા અને છેલ્લા શ્વાસે હતા ત્યારે જયસિંહે દારાને નહિં પકડવાનું વચન આપ્યું. નાદીરા બાનુની નાની દીકરી જહાનજેબને દારાની બેન જહાનઆરાને દિલ્હી ખાતે સોંપવાનું નક્કી થયું. ત્યાં અફઘાનનો મલેક જીવણખાન આવ્યો. ઇ.સ. ૧૬૫૮ના જુન માસના પ્રથમ અઠવાડીયામાં હેબત નીકળેલ તે ૨૮ ઓગષ્ટે દિલ્હી પહોંચ્યો. પરંતુ ખુટલ મલેક જીવણખાને દારાને પકડાવેલ તેથી હેબતે જીવણખાનને માર્યો. ૧૫ વર્ષ પછી ગુજરાતના સુબા શાહજાદા મહમદ આઝમશાહ હેબતપુર આવ્યો ત્યારે તેની પત્ની જહાનઝેબ હતી જેને હેબતે સહીસલામત દિલ્હી જહાનઆરાને પહોંચાડેલી. આ જહાનજેબે હેબતપુરમાં હેબતને ભાઇ કહી રાખડી બાંધેલ હતી.
ગામ માત્રામાં કોળી વીર જોગરાજીઓ મીઠો ગોબર હતો જેણે દીપડા સાથે બથમબથા લડાઈકરી દીપડાને માર્યો હતો. વીંછીયાથી કોળીની ૭ જાનો માત્રા ગામે પરણવા આવી હતી. ત્યારે બલોચોએ માત્રા ગામનું ગાયોનું ધણ વાળ્યું. મીઠા ગોબરે ગાયો પાછીવાળી મીઠો ધીંગાણામાં કામ આવ્યો. આ બનાવ સંવત ૧૯૩૯ના માગશર સુદ બીજ ને મંગળવારે બનેલ આ મીઠા ગોબરનો પાળિયો મોટા માત્રા ગામના પાદરે છે. પોરબંદર- નવી બંદર આસપાસનો ખારવા સમાજ જે નવીના કે પોરના ખારવા કહેવાય છે. તેમના બારોટના ચોપડાની નોંધ મુજબ મહમદ ઘોરી અને અલાઉદ્દીનની સેનાઓ ૧૮ વખત સોમનાથ લુંટવા આવેલી ત્યારે તેને શિકસ્ત આપવા જે રાજસ્થાનથી રજપુતો આવેલા તે પૈકીના અને કાળે ક્રમે અહિં કાંઠે સ્થિર થયેલા લોકો છે. ક્ષાર (મીઠા)ને લગત ધંધો તેથી ખારવા કહેવાયા. અઢારમી સદીમાં મોગલ રાજ્ય પડી ભાંગ્યું ત્યારે કોળી ઠાકરડા સરદારે ઝીંઝુવાડાતાલુકો જીતી લીધેલ.
ધ્રાંગધ્રાના ઝાલા રાજવંશના એક ક્ષત્રિયે કોળી કન્યા સાથે લગ્ન કરતા તેને નાત બહાર મુકાયેલ તેથી કોળીમાં ભળ્યો તે કભાજી ઝાલાના બે પૌત્રો રાયસિંહ જેના વંશજો રાસાણી કોળી તથા મેલોજી જેના વંશજો મેલાણી કોળી કહેવાયા.
સમુદ્ર કાંઠાના કોળીઓ કુશળ નાવિક અને કેટલાક સમુદ્રી લુટારા પણ હતા. અને મુસ્લીમો- કાબાઓના વહાણો લૂંટી લેતા. ગુજરાતમાં કેટલેક સ્થળે કોળીઓના રાજ્યોહતા જે જાગીરદાર અને વર સલામીવાળા રાજ્યો ગણાતા.
બિહારમાં જેને ભૂમિહારો કહેવાય છે તે કોળીમાંથી બન્યા છે. કોળીઓનું જાતી ચિન્હ કુકડો અને ઝંડો પચરંગી હોય છે. આ સમાજમાં પર્દાપ્રથા હોતી નથી. ૧૯૬૧ના અરસામાં આ સમાજના શ્રી યુ. બી. વરલીકર કે જેઓ મુંબઇ કોર્પોરેશનના મેયરપદ સુધી પહોંચ્યા હતા. તેઆ સમાજના ઉજ્જવળ ભાવિનું મંગળ એંધાણ ગણી શકાય.
ગુજરાતના કોળી સમાજમાં ઘણા પેટા વિભાગો છે જે અંગે વિસ્તૃત છણાવટ કરતા હરકાંતભાઈ રાજપરા નોંધે છે કે (૧) તળપદા કોળી કે જેઓ તળપદના રહેવાસી કહેવાય છે તેના ૨૨ વિભાગો છે. (૨) ચુંવાળના રહિશ કે જે ૪૪ ગામોનો ગોળ કહેવાય છે તેની ૨૧ શાખાઓ છે. જેમાં જહાંગીરીયા, પાટણવાડિયાવિ. મુખ્ય છે. (૩) ઘેડ-માંગરોળ- ગોસાબારા (સોરઠ પંથક)ના ઘેડીયા કોળી (૪) જાફરાબાદ પંથકના શિયાળ (૫) દીવના દિવેચા (૬) ખસ (ભાલ)ના ખસિયા (૭) ખાંટ કોળી (૮) પતાંકિયા, (૯) થાન પંથકના પાંચાળી (૧૦) નળ સરોવર આસપાસ પઢાર (૧૧) મહી કાંઠાના મેવાસા (૧૨) અમદાવાદના રાજેચા (૧૩) દેવગઢ બારિયાના બારૈયા (૧૪) સુરતના ભીમપોરિયા તેમજ (૧૫) કચ્છ પંથકમાં વાગડિયા, ઠાકરડા, ધારાળા, તેગધારી વિગેરે.
આ સિવાય ભીલ કોળી, માછીમાર કોળી, સોરઠીયા કોળી, ઠાકોર કોળી, હુણ કોળી, ડાંડા (મુંબઈ) કોળી વિ. જોવા મળે છે. આ જ્ઞાતિમાં રાજપુતી અટકો જેવી કે ઝાલા, શિકરવાડ, જરોલિયા, કટહરિયા, ચૌહાણ, વાઘેલા પવાર, સરવૈયા, મારૃ, પરમાર, સોલંકી, ગામિત, જમોડ, કાગડીયા, બામણીયા, રાઠોડ, મકવાણા, કુણખાણિયા, મેર, ગોહેલ, જાદવ વિ. પણ જોવા મળે છે.
અન્ય મત મુજબ તળપતિ (પૃથ્વીના માલિક)નું અપભ્રંશ તળપદા થયું છે. વળી દરિયા આધારિત ધંધો હોય તે મતિયા કોળી, માટી ખોદનાર તે ખેડવાયા, અનાવિલ જમીનદારોના નોકર તે ગુલામ કોળી, માંધાતના વારસદારો તે માન-સરોવરિયા જે મીઠુ પકવે છે, વિ. પ્રકારો શ્રી અર્જુન પટેલે વર્ણવેલ છે. તેમાં પણ વળી વંશાવળિયા કે જેઓના વંશની નોંધ બારોટના ચોપડે હોય તેમજ બિન વંશાવળિયા કે જેના કુળની નોંધ કોઈ બારોટના ચોપડે ન મળે તેવા કોળી. કોળીઓનો વસવાટ પરદેશમાં જેમ કે આફ્રિકા, ન્યુઝીલેન્ડ, ઇંગ્લેન્ડ કેનેડા, અમેરિકા, દુબઈ, અબુધાબી, મસ્કત જેવા દેશોમાં પણ છે. મુંબઇમાં કોળીઓ કોલાબા, કાલબાદેવી, ભુલેશ્વર, ગિરગામ, પરેલ, અંધેરી, દાદર, વિક્રોલી વગેરે સ્થળે વસે છે.
ભાવનગરના સત્યાગ્રહ તરીકે ઝઝુમીને શહિદ થયેલા કાનજી માસ્તરના ઘેર તેમના પત્ની સોનબાઈને સાંત્વના આપવા ખુદ ગાંધીજી ગયા હતા અને સાથે ઠક્કરબાપાપણ હતા. જ્યાં ગાંધીજીના કહેવાથી સોનબાઈએ સોનાના ઘરેણાંનો ત્યાગ કરેલ. કાનજીમાસ્તર સ્વદેશીની લડાઈમાં લાઠીચાર્જથી શહિદ થયેલ. દાંડીકૂચ પછી ગાંધીજીને નવસારી કાંઠાના શૂરવીર અને દેશદાઝ વાળા કોળી યુવાનો પર અતૂટ વિશ્વાસ બંધાયો. ૧૯૪૨ના હિંદછોડો આંદોલન ના હીરો કરાડીના પાંચાકાકા હતા. તેમણે વિલાયતી વસ્તુનો બહિષ્કાર તો કર્યો જ પરંતુ સાથે સાથે પોતાની જમીનનું મહેસુલ ન ભરીને અસહકાર પણ વ્યક્ત કર્યો. અંગ્રેજ સરકારે  એમની જમીન જપ્ત કરી જે ભારત સરકારે આઝાદી બાદ પાછી આપી પરંતુ તેમણે જમીન સરકારને દાન કરી જયાં આજે પણ યશગાથા સમાન 'ગાંધી કુટિર' ઉભી છે.
તા. ૨૨-૦૮-૧૯૪૨ના રોજ મટવાડ મુકામે ભારત છોડો આંદોલન દરમ્યાન થયેલ પોલીસ ગોળીબારમાં મગનભાઈ ધનજીભાઈ, મોરારભાઈ પાંચાભાઇ અને રણછોડભાઈ લાલભાઈ શહિદ થયા હતા. ઘાયલ મગનભાઈને પોલીસના ઘેરામાંથી બહાર લઇ આવારા કોળી બહેનો હતાં. પોતે કાંતી, વણીને ૫૦ ઇંચની ધોતી બનાવી ગાંધીજીને ભેટ આપનાર કરાડીના ગંગાબહેન હતાં. ગાંધીજીની હત્યા સમયે પ્રભુભાઈ કોળીપટેલ એમની નજીકમાં જ હતા. દાંડીકૂચ બાદ ધારાસણા સત્યાગ્રહમાં કોળી બહેનોના અપ્રતિમ સાહસ અને હિંમતની નોંધ ઇતિહાસમાં આલેખાઈ ચુકી છે. નેતાજી સુભાષચંદ્ર બોઝની 'આઝાદહિંદ ફોજ' ના કૅપ્ટન ગોવિંદરાવ કિરડે (કોળી) અને મટવાડના પી.સી. પટેલ સિપાહી હતા.
વિદેશની ધરતી ઉપર પણ બલિદાન આપનારા આપણા શુરવીરો છે. તા. ૭-૬-૧૯૩૯ના રોજ દક્ષિણ આફ્રિકામાં ગોરી સરકાર સામે વિરોધ વ્યક્ત કરતી સભામાં થયેલ પોલીસ ગોળીબારમાં શહિદ થનાર વ્યક્તિ ડાહ્યાભાઈ ગોવિંદભાઇ કોળી હતા. મટવાડ ગામનું દંપતી પ્રેમિલાબેન અને  નાના સીતા દક્ષિણ આફ્રિકામાં 'રંગભેદ' અને 'ગ્રુપ એરિયા એક્ટ' વિરુદ્ધના ગાંધીજીના અહિંસક આંદોલનમાં  ખુબજ સક્રિય હતું. આટ ગામના ફકીરભાઈ પણ ગાંધીજી સાથે જોડાયા હતા. તેઓ બાપુના બોડીગાર્ડ જેવા હતા. તેમને બિરદાવતાં ગાંધીજીએ કહ્યું હતું કે : "ફકીરભાઈ જેવાનો સાથ મળવાથી જ હું મહાત્મા બની શક્યો. મારી ફકીરી આવા લોકોને આભારી છે.
રૂપલા  કોળીને અંગ્રેજોએ ૨૨મી ઓગષ્ટ ૧૮૫૮ના રોજ ફાંસી આપી દીધી હતી. તેનું  કુટુંબ હાલ પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં રહે છે. તેઓ ત્યાં તેમની 'કોહલી' અટક લખાવે છે અને તેમને પાકિસ્તાનમાં 'દલિત' ગણવામાં આવે છે. હાલ માર્ચ ૨૦૧૮માં રૂપલાની ચોથી કે પાંચમી પેઢીનું સંતાન ૩૯ વર્ષીય કૃષ્ણકુમારી કોહલી બિલાવલ ભુટ્ટોની પીપલ્સ પાર્ટીના સેનેટર બન્યાં છે. તેઓ પાકિસ્તાનના ઇતિહાસમાં પ્રથમ દલિત મહિલા સેનેટર છે.
કોળી લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન, બીજો મત્સ્યદ્યોગ અને ત્રીજો કાપડ ઉદ્યોગ છે. સરેરાશ કોળી સર્વિસ માઇન્ડેડ છે. બિઝનેસમાં કોળીઓનું પ્રમાણ ઘણું ઓછું છે. જેમની પાસે ખેતી કે અન્ય ધંધો નથી તેઓ નોકરી અને મજૂરી કરતા હોય છે. તમામ પ્રકારના ધંધા રોજગારમાં કોળી લોકો મળી આવશે.
રાજા મંધાતાનો જન્મદિન 'મકરસંક્રાંતિ' છે. ભગવાન શંકરના બાર જ્યોતિર્લિંગો પૈકીનું એક ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ મધ્યપ્રદેશના ખંડવા જિલ્લાના 'માન્ધાતા ટાપુ' ઉપર છે. વાલ્મિકી ઋષિના આશ્રમની વાલ્મિકી ગાદી પર કોળી ઋષિ જ ગાદીપતિ બને છે. છેલ્લે તા. ૧૭-૧૦-૨૦૧૦માં બાલબ્રહ્મચારી કોળી ઋષિ શ્રી જ્ઞાનેશ્વર પ્રસાદજી બિરાજમાન થયા છે.  આપણા હાલના રાષ્ટ્રપતિ શ્રી રામ નાથ કોવિંદ કોળી જાતિના છે જે આપણા સમગ્ર કોળી સમાજ માટે ગૌરવ લેવા જેવી બાબત છે.
ગુજરાત સરકારે સમાજ કલ્યાણ વિભાગમાં તા. ૧-૪-૧૯૭૮ના રોજ ઠરાવ બી.સી.આર.૧૦૭૮-૧૩૭૩૪ એચ મુજબ કોળી સમાજને 'આર્થિક-સામાજિક અને શૈક્ષણિક પછાત' તરીકે એટલેકે મધ્યમ વર્ગ તરીકે માન્યતા આપી છે. ઈ.સ. ૧૯૭૯માં કોળી સમાજને 'બક્ષીપંચ જ્ઞાતિ' તરીકે માન્યતા મળી. આથી અનામતનો લાભ મળતો થયો.  કોળી પ્રજામાં જેમ જેમ શિક્ષણનું પ્રમાણ વધતું જાય છે તેમ તેમ અંધશ્રદ્ધા ઘટતી જાય છે. પુરુષો કરતાં સ્ત્રીઓ ઘણી વધારે અંધશ્રધ્ધાળુ છે.
યુટ્યુબ ઉપર કોળીઓના આધુનિક ગીતો પણ ઉપલબ્ધ છે. લોકો હવે હિંમતથી અને વટથી પોતાને કોળી તરીકે ઓળખાવવા લાગ્યા છે.
આઝાદી બાદ પરંતુ ગુજરાત રાજ્યની રચના થઇ એ પહેલાં હિન્દુસ્તાનની કઈ કઈ જાતિઓને એસ. સી. ( શીડયુલ કાસ્ટ ) અને એસ.ટી.(શીડયુલ ટ્રાઈબ) ગણવી તે માટે કેટલાંક કમિશનો અને સમિતિઓની રચના થઇ હતી. આ પૈકી કાકાસાહેબ કાલેલર નામના એક લેખક અને ગાંધીવાદી વ્યક્તિને સર્વે માટે આપણો નવસારી વિસ્તાર સોંપાયો હતો.  એમણે જાતે આવી  દાંડી, સામાપુર, મટવાડ, કરાડી,કોથમડી, પેથાણ, મછાડ, બોદાલી, આટ, ઓંજલ, અબ્રામા વગેરે ગામોની રૂબરૂ મુલાકાત લીધી હતી. તે વખતે કાંઠામાં ભયંકર ગરીબી હતી. પરંતુ લોકોમાં આઝાદીનો જુસ્સો ઘણો વધારે હતો. વળી પરદેશ ખાસ કરીને આફ્રિકાના દેશોમાં આપણા લોકોનું ગમન વધ્યું હતું. વળી ત્યારનાં આપણાં બહેનોનો પહેરવેશ સ્કર્ટ કે ચણિયાને બદલે બ્લુ રંગની ખાદીની હાફપેન્ટ અને બ્લાઉઝ સાથે ખાદીની સફેદ ઓઢણીનો હતો. જે કાકાસાહેબ કાલેલકરને પશ્ચિમના દેશોના બહેનો જેટલો આધુનિક લાગ્યો હતો. આપણી જીવનશૈલી પણ સરેરાશ ભારતીય કરતાં થોડી ઊંચી હતી. પરિણામે આપણને એસ.ટી. માં ગણવામાં ન આવ્યા. ભારતના અન્ય રાજ્યોમાં તેઓ એસ.ટી. અથવા એસ.સી. ગણાય છે. આપણાં હાલના રાષ્ટ્રપતિ શ્રી કોવિંદ બિહારમાં એસ.ટી. ગણાય છે. (હાલ અનામત માટે આંદોલન કરી રહેલ પાટીદાર પટેલો પણ શુદ્ર જાતિમાં આવે છે. સરદાર પટેલે એમને એસ.ટી. જાતિમાં ગણાવી દેવાની વાત કરેલી પરંતુ એમના નેતાઓને ત્યારે હલકી કોમ ગણાવું પસંદ ન હતું. હવે હલકા ગણાવા માટે દેશભરમાં આંદોલનો થઈ રહયાં છે. ગુજરાતમાં પાટીદારો, રાજસ્થાનમાં ગુર્જરો, હરિયાણામાં જાટ લોકો વગેરે )
ગુજરાતમાં સને ૧૯૩૧ ની છેલ્લી જ્ઞાતિ આધારીત જનગણના મુજબ, કોળી લોકોની વસ્તી લગભગ કુલ વસ્તીનાં ૨૨% જેટલી હતી. આ માહિતી આઝદી પહેલાંની છે. આઝાદી બાદ જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરી થઇ નથી. હાલની તારીખે સ.ન. ૨૦૧૭ની ગુજરાતની કુલ વસ્તી ૬,૭૬,૦૦,૯૯૨ છે. જેમાં જેમાં કોળીઓની વસ્તી 1,37,00,000 થાય. જે દુનિયાના કુલ ૨૩૩ દેશો પૈકી ૧૬૦ દેશોની વસ્તી કરતાં પણ વધારે છે. જો ભારતના કુલ કોળીઓની વસ્તી ગણીએ તો એ આંકડો અધ...ધ...ધ...થઇ જાય.
કોળી શબ્દનો ગુજરાતી અર્થ પણ જાણવા જેવો છે. સૌ પ્રથમ 'સાર્થ ગુજરાતી જોડણી કોષ' સ.ન. ૧૯૨૮ માં તૈયાર કરાયો. તેની ૧૦ થી ૧૨ પુન:મુદ્રણ  આવૃતિઓ પણ થઇ. તેમાં કોળી શબ્દનો અર્થ ઠાકરડાની જાતનું, ઠાકરડો, કાળો અથવા દયાહીન આદમી, અનાર્ય-શુદ્ર જાતિનો માણસ અને કોળણ એટલે કોળીની સ્ત્રી, કાળી અથવા દયાહીન સ્ત્રી હતું. છેક ૧૯૯૭ સુધી એ ચાલ્યું. માર્ચ ૧૯૯૮ માં પુન:મુદ્રણ થયું તેમાં કેટલાક અપમાનજનક શબ્દો દૂર કરીને પુરુષ માટે ઠાકરડાનું જાતનું, ઠાકરડો અને સ્ત્રી માટે કોળીની સ્ત્રી શબ્દો રહેવા દીધા. આ સુધારાનું કામ શ્રી મોહનભાઇ દાંડીકરે કરાવેલ છે.  મુંબઇ ઇલાકાનું ગેઝેટ (૧૯૦૧-૨૩૬) કોળી શબ્દનો અર્થ 'મછવા' કરે છે.
આપણામાંથી ઘણા લોકો પ્રાથમિક અથવા માધ્યમિક શાળામાં પ્રખ્યાત કવિ રમણલાલ સોની રચિત કવિતા એક ઇડરનો વાણિયો ધૂળો એનું નામભણ્યા હતા. એમાં આગળ જતાં   એવે ઝાડી સળવળી ચમક્યા કોળી ચાર એવું લખાણ છે. ( જો કે પાઠયપુસ્તકમાં કોળીને બદલે ચોર શબ્દ વપરાયો હતો). ટૂંકમાં આજે પણ કોળીનો અર્થ ચોર થાય છે અને સૌરાષ્ટ્ર તથા ઉત્તર અને મધ્ય ગુજરાતમાં કોળીઓ સાથે સદ્વ્યવહાર થતો નથી.
સમયાંતરે ભૂતકાળમાં કેટલેક સ્થળે કોળીઓને ગુનેગાર ગણવામાં આવતાં પરંતુ અભ્યાસુ એલીસકલોક, અને હાર્ડીમને કોળીઓની ગુનેગારી પ્રવૃત્તિ માટે તેઓને જવાબદાર ન લેખાવતા જે તે વખતની સામાજિક પરિસ્થિતિને કારણભૂત લેખાવી કોળીઓને નિમિત માત્ર ઠેરવ્યા છે. હકીકતે આ કોમ શૌર્યવાન, ઝિંદાદિલ, દેશ અને વતન તેમજ વચનને ખાતર ફના થઈ જવાની તમન્નાવાળી છે, રાષ્ટ્રવાદી છે, ધર્મરક્ષક છે. મહાત્મા ગાંધીએ પણ એક વાર વિધાન કરેલું ''કોળીઓ તો બળિયા છે.''સ્વતંત્રતાનો ઈતિહાસ પણ આ કોમના વીરો અને વીરાંગનાઓના શૌર્ય કથાનકોથી અંકિત છે.
હવે આપણે માત્ર નવસારી વિસ્તાર પૂરતા સીમિત થઇ વિચારીએ.  ચાંપાનેરના પતઇ રાજા જયસિંહની સેનામાં મોટેભાગે કોળી સૈનિકો હતા. મહંમદ બેગડાએ રાજા જયસિંહને હરાવી ત્યાં મોગલ સામ્રાજ્ય સ્થાપ્યું. હવે હારેલા સૈનિકોએ વટલાયને મુસલમાન થવું પડશે એ બીકે તેઓ પોતપોતાના કુટુંબ કબીલા સાથે દક્ષિણ તરફ ભાગ્યા અને નર્મદા નદી પાર કરી ગયા. તે પૈકી મોટાભાગના લોકો નદી અને દરિયા કિનારે વસ્યા. કેટલાક છેક મુંબઈ સુધી પહોંચી ગયા. મહંમદ બેગડાએ મુંબઈ પણ જીત્યું ત્યારે કોળીઓ ઉત્તરમાં પાછા ભાગીને દક્ષિણ ગુજરાતમાં આવી વસ્યા. જે મુંબઈમાં રહ્યા તેઓ માછીમારીના  ધંધામાં લાગી ગયા. જેઓ પરત થયા તે પૈકીના ઘણા લોકો સુરત, નવસારી અને વલસાડના વિસ્તારોમાં વસી ગયા. ત્યાં તેમના ઓળખીતા કોળીઓ થોડા જ વર્ષો પહેલાં આવી વસ્યા હતા. આમ આપણા પૂર્વજો ચાંપાનેર અને પાવાગઢ થી ડાયરેક્ટ અથવા વાયા મુંબઈ માઈગ્રન્ટ થયેલા છે.
વર્ષો બાદ ખેતી, પશુપાલન અને મત્સ્યોદ્યોગમાં મળતી સીમિત આવક, વારંવાર આવતા દુષ્કાળ, રેલ અને વાવાઝોડાં જેવી કુદરતી આફતોને કારણે લોકોને જીવન નિર્વાહ માટે અન્ય દિશામાં વિચારવાની ફરજ પડી. આઝાદી પહેલાંથી નવસારીના મૂળ વતની એવા જમશેદજી તાતાએ બિહાર અને બંગાળમાં કોલસા અને લોખંડની ખાણો નજીક ટાટા સ્ટીલ કંપની શરુ કરી. ત્યાં સૌથી વધુ કારીગરો તરીકે નવસારીના કોળીઓને સ્થાન મળ્યું. તેઓ જમશેદપુર, ટાટાનગર, આસાનસોલ, દુર્ગાપુર વગેરે જગ્યાએ વસ્યા અને પગભર થયા. કેટલાક લોકોએ મુંબઈની વાટ પકડી. તે પૈકી ઘણા લોકોએ થાણે, મોહના, કલ્યાણ વગેરે જગ્યાએ નોકરી શોધી લીધી. ગુજરાતમાં સુરત, અંકલેશ્વર, ભરૂચ, વડોદરા, અમદાવાદ, રાજકોટ, સિક્કા, જામનગર વગેરે શહેરો પણ બાકાત રહ્યાં નહિ. આ ઉપરાંત ભારતભરમાં રાઉરકેલા, ભોપાલ, ભીલાઈ, કોટા, દિલ્હી, બેંગલોર, મદ્રાસ, પુના, ઔરંગાબાદ વગેરે જયાં નોકરી ધંધા મળ્યા ત્યાં તેઓ ગયા. જેઓ કાંઠાની બહાર ગયા તેમનાં બાળકો કાંઠાની સરખામણીએ સારું શિક્ષણ મેળવી શક્યાં.   
સૌ પ્રથમ ઈ.સ.૧૯૦૨માં નવસારી કાંઠાના કોળી લોકોએ  વ્યવસ્થિત રીતે દક્ષિણ આફ્રિકા જઈ પરદેશગમનના શ્રીગણેશ કર્યા. પછી આખા આફ્રિકા ખંડમાં ફેલાયા.  ઈ.સ. ૧૯૧૩ માં ન્યુઝીલેન્ડ, ફીજી અને ઓસ્ટ્રેલિયા ગયા. કેટલાક બર્મા (માનમ્યાર), જાવા-સુમાત્રા (ઇન્ડોનેશિયા) અને સિંગાપુર પણ ગયા. પછી ઇંગ્લેન્ડનો વાયરો વાયો. કેટલાકે અમેરિકાની વાટ પકડી. 1960 થી (1972થી નહીં) કેનેડામાં એન્ટ્રી થઇ. થોડા લોકો કેરેબિયન ટાપુઓ પર પણ છે. છેક બ્રાઝીલ સુધી ગયા હોવાના પણ રેફરન્સ છે. ૧૯૬૦ પછી ગલ્ફના દેશો સાઉદી એરેબિયા, અબુધાબી, દુબઇ, મસ્કત, ઈરાન, ઇરાક વગેરે માં ઇજનેરી કામ અર્થે ગયા. આમ જોઈએ તો નવસારી કાંઠાના કોળીઓની ઈકોનોમી ભારતીય રૂપિયા કરતાં વિદેશી હૂંડિયામણ ઉપર વધારે આધારીત રહી છે.
 કેનેડામાં આપણા કાંઠાના ઇમિગ્રેશન બાબતે જે રેફરન્સ મળ્યા છે તે મુજબ સૌ પ્રથમ સાઉથ આફ્રિકામાં જન્મેલ છીબુભાઈ ભાણાભાઈ પટેલની  1960ની સાલમાં એન્ટ્રી થઇ હતી. 1964ની આજુબાજુના વર્ષોમાં બોરીફળીયાના ગિજુભાઈ પટેલ અને 1967માં કરાડીના રમણભાઈ ડી. મૂળચંદ કેનેડા ગયા હતા. ઉપરાંત ઝામ્બિયા સ્થિત અલુરીયા ફાળિયા, મટવાડના રણછોડભાઈ રામજીભાઈ ભાણાભાઈ પટેલ ફેમિલી સહીત કેનેડા આવ્યા હતા. પછી 1972ની સાલમાં એકસાથે મોટી સંખ્યામાં આપણા ભાઈઓએ  કેનેડા આવવાનું સાહસિક કામ કર્યું હતું અને એ સાહસના મીઠાં  ફળો આજે આપણે ભોગવી રહ્યા છીએ.
યુ.એસ.એ. જનારાઓમાં સૌ પ્રથમ કોથમડી ગામના કલ્યાણજીભાઇ પટેલ (ગોબાઈવાળા) નો રેફરન્સ મળ્યો છે. તેઓ 1949માં વધુ અભ્યાસ માટે અમેરિકા ગયા હતા.
1878માં બ્રિટિશ સરકારે ફિજીમાં ભારતીય વસાહતી માટે છૂટ આપતી નવી નીતિ અપનાવી, તેથી આપણે ત્યાં વસવાટ કરી શક્યા. ઘણા લોકો ત્યાંથી ન્યુઝીલેન્ડ થળાંતર કરી ગયા. 1875માં કલકત્તાથી સ્ટીમરમાં ડરબન (દક્ષિણ આફ્રિકા) જનારાઓમાં વેરાવળ ગામના વલ્લભભાઈ પરસોતભાઈ હતા. કાંઠામાંથી સર્વપ્રથમ મછાડ ગામના કેશભાઈ દાજીભાઈ 1902ની સાલમાં ન્યુઝીલેન્ડ ગયેલા. જયારે યુ.કે. જનારાઓમાં કરાડીના મકનજી પરસોત્તમભાઈ લખોટી તથા બોદાલીના દયાળભાઈ ડાહ્યાભાઈના નામના રેફરન્સ મળેલ છે. આ બંને ભાઈઓ સ્વાતંત્ર્ય સેનાની હતા. અને સરદાર વલ્લભભાઈને મદદરૂપ હતા. 1925ની આજુબાજુ પૂર્વ આફ્રિકાના કેન્યા, યુગાન્ડા, તાન્ઝાનિયા વગેરે દેશોમાં આપણા લોકો ગયા. 1943માં બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન મુંબઈથી આફ્રિકા જતી સ્ટીમર જાપાનના ટોર્પિડોથી ડૂબી તેમાં કરાડી વિસ્તારના કેટલાક લોકો ડૂબી ગયા હતા. કેટલાક લોકો પશ્ચિમ અને મધ્ય આફ્રિકામાં પણ વસ્યા હતા. રહોડેશિયા (ઝિમ્બાબ્વે) માં આપણી ઘણી સારી વસ્તી હતી. 1942માં કોથમડીના પરભુભાઈ પરસોત્તમભાઈ પટેલ ઇંગ્લેન્ડ અભ્યાસ અર્થે જનાર પ્રથમ વિદ્યાર્થી હતા. પછીથી તેઓ ભારતમાં મેજિસ્ટ્રેટ બન્યા હતા.
પહેલાં લંડન ફ્રી પોર્ટ હતું. ત્યાંથી વિના રોકટોક બ્રિટનમાં પ્રવેશી શકાતું હતુ. આનો લાભ લઈ શરૂઆતના લોકો ત્યાં ગયા. પણ 1954ના વર્ષમાં ભારત સરકારે અચાનક પાસપોર્ટ ઇસ્યુ કરવાનું બંધ કર્યું. આથી ઇંગ્લેન્ડ જવાનું અઘરું બન્યું. જો પાસપોર્ટ ઇસ્યુ કરાયા હોત તો અડધો કાંઠો ત્યાં પહોંચી જાત.
પૂર્વ આફ્રિકામાં કરાડીના મકનભાઈ બુધીયાભાઈની અથાગ મહેનતથી સમાજને સંગઠિત કરાયો અને માંધાતા સમાજની સ્થાપના કરવામાં આવી. તેમણે મોમ્બાસા ખાતેની પોતાની જમીન સમાજને દાનમાં આપી અને ફંડફાળો એકત્ર કરી તેમાં સમાજનું મકાન બનાવ્યું. આ મકાન ત્યાંથી ભારત આવતા અને જતા લોકો માટે ખુબ ઉપયોગી સાબિત થયું. પણ પછી કેન્યાની આઝાદી બાદ ભારતીયોને ત્યાં ત્રાસ અપાશે એ બીકે મોટાભાગના લોકો ઇંગ્લેન્ડ જતા રહ્યા. સાથે માંધાતા સમાજની મિલકત વેચીને તેમાં થી ઉપજેલ રકમ યુ.કે. ના માન્ધાતા સમાજને આ રકમ સુપરત કરી.  
પહેલવહેલા આપણા કાંઠાના લોકો ઇંગ્લેન્ડ ગયેલા ત્યારે ત્યાંના ગોરાં બાળકો એમને કુતુહલથી જોતાં એવે સમયે એમણે બ્રોમવિચમાં ગુજરાતી એસોસીએશનની સ્થાપના કરી હતી. પછીથી બ્રિટનમાં આપણું પ્રથમ મંદિર અને હોલ બન્યાં. પાછળથી આ જ મંડળનું નામકરણ 'માંધાતા હિતવર્ધક મંડળ' થયું એના થકી જ ત્યાં શ્રી કૃષ્ણ મંદિરનું નિર્માણ થયું. જેને અયોધ્યાના બાબરી મસ્જિદના ધ્વંસ વેળા બાળવામાં આવ્યું હતું જે મંદિર આજે ફરીથી નવા કલાત્મક કલેવરમાં સાકાર થયું છે. ઈંગ્લેન્ડમાં આપણી જ્ઞાતિનું મુખપત્ર 'માંધાતા પ્રગતિ' પ્રકાશિત થાય છે.   
કેનેડાના મોન્ટ્રિઅલ શહેરમાં આવેલ 'ટેમ્પલ શ્રી રામજી માંધાતા' (રામજી મંદિર) પણ કોળી જ્ઞાતિના લોકોનું મંદિર છે. જેની સ્થાપના 1992 માં થઇ હતી અને છેક 2008 માં હાલના મંદિરમાં પ્રથમ પ્રાણપ્રતિષ્ઠા થઇ.
છોટુભાઈ મકનભાઈ દક્ષિણ આફ્રિકાના પ્રથમ ભારતીય પાયલોટ હતા. ન્યુઝીલેન્ડમાં રમેશ પટેલ નામના આપણા જ્ઞાતિભાઈને બ્રિટનના રાણી એલિઝાબેથે તેમની જાહેર જનતાની સેવા બાદલ  MBE નો ખિતાબ એનાયત કરી સન્માન્યા હતા.
આઝાદી બાદ આપણે લોકો રાજકારણમાં પણ સક્રિય થયા. જેમાં લલ્લુભાઇ મકનજી, ગોસાંઈભાઈ છીબાભાઈ, સી.ડી. પટેલ, એ.ડી.પટેલ, વસંતભાઈ, છોટુભાઈ થી આર.સી. પટેલ સુધીની યાદી બનાવી શકાય. (સ.ન.૨૦૧૭માં થયેલ ગુજરાત વિધાનસભાની છેલ્લી ચૂંટણીમાં સમગ્ર ગુજરાતમાંથી ભા.જ.પ. ના અગિયાર અને કોંગ્રસના બાર કોળી ઉમેદવારો ચૂંટાયા છે.) રૂપન તળાવ, આટના ઈચ્છુભાઈ દક્ષિણ આફ્રિકાના સંસદ સભ્ય હતા. મોન્ટ્રિઅલ,કેનેડા ખાતેના મ્યુનિસિપાલિટીના ઇલેક્શનમાં ઓંજલના નવનીત ડી. પટેલે પણ ઝંપલાવ્યું હતું. જોકે તેઓ જીત્યા ન હતા પરંતુ એમની હિંમતને દાદ આપવી રહી.
કેટલાક કોળી લોકો સિન્ધ પ્રદેશ (હાલ પાકિસ્તાન) થી આવીને અહીં વસ્યા તેઓ પોતાની સાથે પોતાની કુળદેવી સિંધવા માતાને લઇ આવ્યા. આ સિંધવા માતાની સ્થાપના તેઓએ  પૂર્ણા નદીના મુખ પાસે કરી. સિંધવામાતાનું  સિંધવામાઇ અને તેનું અપભ્રંશ થઈને આજે એ સ્થળ સિંધવાઇ નામે જાણીતું છે. આજે પણ શ્રદ્ધાળુઓ આ મંદિરે પૂજા -અર્ચના અને બાધા-માનતા ચડાવવા આવે છે.
હાલ આપણી પાસે સગવડ અને સંપત્તિ વધ્યાં પરંતુ રમત ગમતગમે ક્ષેત્રે આપણી અધોગતિ થઇ છે એમ કહીએ તો કશું ખોટું નથી. ખાસ કરીને કાંઠાનું ક્રિકેટ મરણપથારીએ છે. એને ઉગારવાના પ્રયત્નો જરૂર થાય છે પરંતુ યુવાનોમાં ક્રિકેટ રમવા માટેનો ઉત્સાહ વધુ રહ્યો નથી. એનાં મુખ્ય કારણોમાં સ્કૂલ અને કોલેજના અભ્યાસકાળ દરમ્યાન ભણવાનો વધુ પડતો ભાર અને નોકરી ધંધા માટે કરવી પડતી રોજની મુસાફરી, વિદેશમાં નોકરી, ઘર પરિવારની જવાબદારી વગેરે છે.  એક સમયે નવસારી ખાતે વાર્ષિક 'ઓલિમ્પિક' રમાતી. જેમાં જુદી જુદી દોડ, કૂદ, કબડ્ડી, ખોખો વગેરે રમતો રમાતી. પછી ક્રિકેટનો ફીવર ફેલાયો. મટવાડ અને દાંડીની ક્રિકેટ ટુર્નમેન્ટોએ સારું આકર્ષણ જમાવ્યું હતું. નવસારી ખાતે રમાતા 'તેલી શિલ્ડ' નું પણ ઘણું મહત્વ હતું.
કરાડીના મગન પટેલ (સ્પિનર) અને ગિરીશ પટેલ(વિકેટકીપર), કોથમડીના રાકેશ પટેલ (મીડીયમ ફાસ્ટ બોલર) રણજી ટ્રોફી રમ્યા છે. એકવાર ન્યૂઝીલેન્ડના પ્રવાસ દરમ્યાન એકાદ બોલર ઈજાગ્રસ્ત થતાં રાકેશ પટેલની પસંદગી ભારતીય ટીમમાં થઇ હતી પરંતુ અંતિમ ઇલેવનમાં તેઓ પોતાની જગ્યા બનાવી શક્યા ન હતા. ત્રણ ત્રણ ક્રિકેટ વર્લ્ડ કપ રમનાર દાંડીના મૂળ વતની, કેન્યા બોર્ન દિપક પટેલ પહેલાં ઈંગ્લેન્ડમાં કાઉન્ટી અને પછી ન્યુઝીલેન્ડ વતી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમ્યા. સ.ન. ૧૯૭૫ના પ્રથમ ક્રિકેટ વર્લ્ડ કપમાં ઇસ્ટ આફ્રિકાની ટીમના એક સભ્ય પી. જી. નાના (પરભુ ગોવન નાના પટેલ) હતા. આપણા મોન્ટ્રિઅલ નિવાસી આશિષ પટેલ (અબ્રામા) પણ કેનેડાની રાષ્ટ્રીય ટીમમાંથી એક વર્લ્ડકપ રમી ચુક્યા છે. એચ.યુ. પટેલ (કરાડી), ન્યૂઝીલેન્ડની નોર્ધન ડીસ્ટ્રીકટ ટીમના નિયમિત ફાસ્ટ બોલર હતા. મોન્ટ્રિઅલમાં શ્રી અરવિંદભાઈ જે. પટેલે (આટ) ઇન્ટરનેશનલ ધોરણની ક્રિકેટ એમ્પાયરિંગની પરીક્ષા પાસ કરેલ છે.
૧૯૭૬ની સાલમાં આપણા મોન્ટ્રિઅલ શહેરમાં રમાયેલ વર્લ્ડ ઓલિમ્પિકમાં ફિલ્ડ હોકીમાં ન્યુઝીલેન્ડની ટીમ ગોલ્ડ મેડલ જીતી હતી. જેમાં રમેશ પટેલ અને મોહન પટેલ નામના બે ખેલાડીઓ આપણા નવસારી કાંઠાના હતા. પીટર દાજી પણ ન્યુઝીલેન્ડ વતી હોકી રમ્યા છે. ન્યુઝીલેન્ડમાં જન્મેલી કરાડીના તબીબ કનુ પટેલની પુત્રી શાંતા પટેલે મેક્સિકોમાં 'વિન્ડ સર્ફિંગ' ની રમતમાં આપણને ગૌરવ અપાવ્યું છે.
શાહરુખ ખાન નિર્મિત 'ચક દે ઇન્ડિયા' માં હોકીના ઘણા સીન તેમના ઓરિજિનલ કલાકારોને બદલે ડુપ્લીકેટના લેવાયેલ છે. આ પૈકી ઘણી જગ્યાએ ન્યુઝીલેન્ડ સ્થિત આપણા કાંઠાની કોળી પટેલ દીકરીઓ ઉપર ફિલ્માવાયા છે.
કાંઠામાંથી ઘણા લોકો પ્રાથમિક, માધ્યમિક અને કોલેજોમાં શિક્ષકો અને પ્રોફેસરો બન્યા છે. ઇંજિનિયર, ડોક્ટર, વકીલ જેવા વ્યવસાય ઉપરાંત બેન્ક અને અન્ય સરકારી અને ખાનગી નોકરિયાત પણ છે.  કેટલાકે નવસારી ખાતે હીરાઉદ્યોગમાં પણ ઝંપલાવ્યું હતું. નાનામોટા કારખાનેદાર પણ છે. કેટલાક લેખકો અને કવિઓ પણ છે. આમાં શ્રી મોહન દાંડીકરનું નામ આવશ્ય લેવું પડે. તેમણે હિન્દી અને ઉર્દુ ભાષાના ઘણા પુસ્તકોનું ગુજરાતી ભાષાંતર કર્યું છે. આ બદલ ગુજરાત સરકાર દ્વારા તેમને પુરસ્કૃત પણ કરવામાં આવ્યા છે.  શ્રી મોહન દાંડીકરના પુસ્તકો મોન્ટ્રિઅલની પાર્કની લાયબ્રેરીમાં પણ ઉપલબ્ધ છે. એમના કુલ ૭૩ પુસ્તકો પ્રગટ થયાં છે. ભાવનગર યુનિવર્સીટી, વડોદરાની એમ.એસ. યુનિવર્સીટી, સૌરાષ્ટ્ર યુનિવર્સીટી અને દક્ષિણ ગુજરાતની વીર નર્મદ યુનિવર્સીટીમાં સ્નાતક/અનુસ્નાતક કક્ષાના અભ્યાસક્રમમાં એમનાં પુસ્તકો ચાલે છે જે આપણા સૌના માટે ગૌરવની બાબત છે.
લોકસેવાના ભેખધારીઓ પણ કાંઠામાં મળી આવશે. આ પૈકી દાંડીના વતની શ્રી ગાંડાભાઈએ પોતાનું સમગ્ર જીવન ડાંગના આદિવાસીઓની સેવામાં અર્પણ કર્યું છે. એમના પુત્રવધુ ઓલઇન્ડિયા રેડિયોના સુરત કેન્દ્રના એનાઉન્સર છે જે પણ આપણા નવસારીના કોળીઓનું ગૌરવ ગણાવી શકાય.
કાંઠાના દરેક ગામોમાં ગુજરાતી માધ્યમની પ્રાથમિક શાળાઓ છે પરંતુ તે તમામની હાલત ઘણી નાજુક છે. હાલ 'ઈંગ્લીશ મીડીયમ' નો વાયરો વાયો છે. મોટાભાગના વાલીઓ પોતાના સંતાનને 'ઈંગ્લીશ મીડીયમ' માં જ ભણાવવાનો આગ્રહ રાખે છે. કરાડી,  ઓંજલ, દાંડી, આટ, પેથાણ અને અબ્રામા ખાતે આપણી જાણીતી માધ્યમિક શાળાઓ છે. તે તમામનું વર્તમાન અને ભવિષ્ય ઉજળું દેખાતું નથી. આનું કારણ પણ 'ઈંગ્લીશ મીડીયમ જ છે.
કોળી પટેલ મિત્ર, નવપ્રગતિ, કોળી સુબોધ, કોળી જીવન એ નવસારીથી પ્રગટ થતાં સમાજના સામયિકો છે. વેબસાઈટ www.mandhataglobal.com અને ઈ-મેઈલ mandhataglobal@gmail.com પરથી આપણને ઉપયોગી માહિતી મળી રહેશે.
આપણા સમાજના ઘણા વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ કરી રહ્યા છે. ત્યારે કોઈકે આપણા કોળી સમાજના ઇતિહાસ ઉપર સંશોધન કરી માસ્ટર કે ડોક્ટરેટ કરવું જોઈએ એવું મને લાગી રહ્યું છે
આપણે અનાર્યો હોવા છતાં આર્યો સાથે હળીમળીને હિન્દુ અને  ભારતીય બનીને કોઈપણ પ્રકારના આંદોલનો કર્યા વિના શાંતિ અને સમજદારીથી જીવીએ છીએ. વિશ્વભરમાં આપણી શાંતિપ્રિય અને નીરુપ્રદવી પ્રજા તરીકેની ઓળખ બની રહો એજ અભ્યર્થના !
પંકજ પટેલ (દાંડી)

સંદર્ભ :
1. સૂર્યવંશી માંધાતા કોળી સમાજની ઐતિહાસિક ગૌરવગાથા, સમાજ દર્પણ’,     (પુસ્તક) લેખક શ્રી રઘુનંદન.
2.‘કોળી પટેલ મિત્ર’ (માસિક), ૨૦૧૭ ડિસેમ્બર, ૨૦૧૮ જાન્યુઆરી,માર્ચ,મે, જૂન, જુલાઈ, ઓગષ્ટ, સપ્ટેમ્બર ના અંકો
4. http://kshatriygujarat.blogspot.ca/p/blog

7. જય માંધાતા. કોળી સમાજ નો ઈતિહાસ ભાગ... - Koli Family of ...

https://www.facebook.com/k.f.o.t.w/posts
8. 1st time ever in Pakistan! This Hindu woman - Krishna Kumari - is set ...www.financialexpress.com › World news



7 comments:

  1. ખૂબ સરસ અને ઐતિહાસિક માહિતી મૂકી ચ્હે કોળી સમાજની. ખૂબ ખૂબ અભિનંદન

    ReplyDelete
  2. બહુ સરસ આર્ટિકલ છે

    ReplyDelete
  3. બારૈયા જાતિ કુળદેવી

    ReplyDelete
  4. ભાતપોર સુરત ના મતીયા કોળી ની કુળદેવી કોઈ ને ખબર હોય તો જાણ કરશો +919898152854

    ReplyDelete
  5. અદભુત ઇતિહાસ. જય માંધાતા. હ્રદય પૂર્વક ખૂબ ખૂબ ધન્યવાદ આ માહિતી માટે.

    ReplyDelete