Tuesday, April 1, 2025

3 ઐતિહાસિક દાંડી ગામનો પરિચય- દાંડીની ભૂગોળ

 

3.  દાંડીની ભૂગોળ

છેલ્લાં અઢીસો કે તેથી પણ વધુ વર્ષોથી દાંડી એની જગ્યાએ સ્થિર છે, પરંતુ તેની ફરતેની ભૂગોળ અવારનવાર બદલાતી રહી છે. સરકારી દસ્તાવેજો મુજબ આ ગામ 21° 19' 60.00" N અક્ષાંસ અને 72° 37' 59.99" E રેખાંશ પર નવસારી રેલવે સ્ટેશનથી 16 કી.મી. અને ગાંધીગેટ તથા એરૂ ચારરસ્તાથી લગભગ 14 કી.મી. પશ્ચિમે અરબી સમુદ્ર કિનારે વહેલું વસેલું છે.  

બ્રિટિશ શાસન દરમ્યાન લગભગ 1870 ની આસપાસ આઈરીશ ઇંજિનિયર મિ. સી. ફોર્ડે નેધરલેન્ડ્સના અનુભવો કામે લગાડી દાંડીની ફરતે ફરી વળતાં દરિયાની ભરતીનાં ખારાં પાણીને માટીના પાળા બનાવી રોકવામાં સફળતા મેળવી. સરકારે આ જમીન સી.ફોર્ડને નામે દફતરે ચડાવી. પાછળથી આ પૈકીની મોટાભાગની જમીન (ફૈઝલભાઈ) ફાઝલભાઈ ઈબ્રાહીમની કંપની પાસે આવી. લગભગ તેઓ સી.ફોર્ડના કારભારી હતા.

આ સમયે દાંડીની આસપાસ ડાંગરની ક્યારીઓ બની અને તેમાં ડાંગરનો પાક થવા લાગ્યો. વખત જતાં પાળાની મરામત ન થવાથી તે તૂટ્યા. અને ફરીથી દરિયાની ભરતીનાં ખારાં પાણી ફરી વાળવા લાગ્યાં. લોકોએ ખેતી છોડી દીધી પણ જમીનની માલિકી ફાઝલભાઈની કંપનીના નામે જ રહી.

દાંડીકૂચ માટે ગાંધીજી આવ્યા ત્યારે દાંડીની ફરતે પાણી ફરી વળતાં જ હતાં. ખુદ ગાંધીજી પોતે જ લખે છે કે તેઓ મટવાડથી કાદવમાં ચાલતા દાંડી પહોંચ્યા હતા.

આઝાદી પછી દાંડીના લોકોના પરિશ્રમથી દાંડીની ભૂગોળ ફરી બદલાઈ. દાંડી વિભાગ ખેતી  સહકારી મંડળી મારફતે ફરીથી મોટા અને વ્યવસ્થિત બંધો બનતાં પાછાં ખારાં પાણીને આવતાં અટકાવાયાં. સને 1951 પછી આ શક્ય બન્યું. 1961-62માં મટવાડ બંદર આગળ પુલ બનતાં દાંડી રોડ માર્ગથી નવસારી સાથે જોડાયું. અને ધીમે ધીમે દાંડીની ભૂગોળમાંથી કાદવ કીચડ અદશ્ય થયાં. ડાંગરની ખેતી શરુ થઇ. પશુધન માટે પૂરતો ઘાસચારો પણ મળવા લાગ્યો. પણ પછી ધૂળનું સામ્રાજ્ય ફેલાયું. દરિયા પરથી આવતા પવન ઉપર સવાર થઈને ખારી સૂકી ધૂળ દાંડી, સામાપુર, આટ થી લઇ ઓંજલ સુધીનાં ગામોને રંજાડતી રહી.

વારંવાર અનિયમિત વરસાદ અને રખડતાં ઢોરને કારણે ખેતી બંધ થઇ. હવે ધીમેધીમે જંગલી બાવળે પોતાનો પ્રભાવ દેખાડવો શરુ કર્યો. તેણે કઇંક અંશે દરિયાનું ધોવાણ રોક્યું, પરંતુ દાંડી આટ અને ઓંજલના ત્રિકોણમાં તેઓ જ પ્રોબ્લેમ બનીને ઉભા થયા.

હવે આજે 2025ની સાલમાં દાંડીની ભૂગોળ કઈંક આવી છે. ઉત્તરે સામાપુર સુધી અને દક્ષિણમાં ઓંજલ તથા પૂર્વમાં આટ-માંડળીયા સુધી કોઈ ખેતી નથી. મત્સ્યોદ્યોગના તળાવો છે. કોસ્ટલ હાઇવે અને હેરિટેજ હાઇવે છે. સોલ્ટ સત્યાગ્રહ મેમોરિયલ છે. અને સુંદર બીચ છે. ગામમાં હવે નળિયાંવાળા મકાન ઓછાં છે. પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, હોસ્ટેલ, પાંણીની ટાંકી, મંદિર, દરગાહ, આરોગ્યકેન્દ્દ, બેન્ક, પોષ્ટઓફિસ વગેરેનાં પાકાં મકાનો છે. મોબાઈલના ટાવર છે. લગભગ તમામ ઘરોને જોડતા ડામરના પાકા રસ્તા છે. ઉપરાંત સિમેન્ટના બ્લોક છે. દરિયાના ધોવાણને રોકવા માટે બાવળના ઝાડની પટ્ટી અને પ્રોટેક્શન વોલ છે.

 

 

 

 

No comments:

Post a Comment