માનવધર્મ છે કે નહીં ?
પ્રભુ,
આ ધરતી પર ઈશ્વર અને અલ્લાહને નામે તોફાન થાય છે.
ખુન, ચોરી, બળાત્કાર, છેતરપિંડી, લૂંટ વગેરે
બધું જ થાય છે.
પણ પ્રભુ, તારી ભક્તિ માટેની સાચી રીતની સમજણ કોઈની પાસે નથી.
મેં જયારે જયારે મારી રીતે તને મળવાનો પ્રયત્ન કર્યો છે ત્યારે ત્યારે,
મારા નિર્દોષ પ્રયત્નની ગાડીની તોડફોડ થઇ છે.
પાંગરી રહેલી ધાર્મિક કટ્ટરતા એની હેડલાઇટ ફોડી નાખે છે.
કહેવાતી સભ્યતા એનો વિન્ડશીલ્ડ તોડી નાખે છે
ખોખલી ધાર્મિક સંસ્કૃતિ એના ટાયરમાં પંક્ચર કરી દે છે.
અને સોશિયલ મીડિયા મને ખડો કરી દે છે ઇતિહાસની અદાલતમાં.
ત્યાં મારે પૂછવું છે, દેવતાઓને;
શુદ્ર હોવાને લીધે જ મારો મંદિર પ્રવેશ બાધ્ય કેમ ?
માત્ર બિનમુસ્લિમ હોવાને કારણે જ હું કાફીર કેમ ?
પ્રોટેસ્ટન્ટ હોવાને કારણે ઓર્થોડોક્સ મારાથી નારાજ કેમ ?
ધરતી પર આટઆટલા ધર્મો, પંથો, સંપ્રદાયો છે,
છતાં કોઈ માનવધર્મ છે કે નહીં ?
જો હોય તો મને ‘ઈમેલ’ કે ‘ટેક્સ
મેસેજ’ જરૂર કરજે પ્રભુ !
હું રાહ જોઇશ.
(પંક્જદાંડી)
No comments:
Post a Comment